આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને એક અઠવાડિયું પૂર્ણ થઈ ગયું છે. બંનેના લગ્ન મુંબઈમાં રણબીર કપૂરના ઘર વાસ્તુમાં 14 એપ્રિલે ખૂબ જ ધામધૂમથી થયા હતા. કપલના લગ્નમાં માત્ર પરિવારના સભ્યો, કેટલાક મિત્રો અને નજીકના લોકો જ શામેલ થયા હતા. આ કપલે ગેસ્ટ લિસ્ટ પણ ખૂબ સીમિત રાખ્યું હતું.
13 એપ્રિલના રોજ રણબીર અને આલિયાએ સગાઈ કરી હતી. આ દિવસે સંગીત સેરેમની, હલ્દી સેરેમની અને મહેંદી સેરેમની હતી. જ્યારે તેના બીજા જ દિવસે એટલે કે 14 એપ્રિલની સાંજે બંને લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતા. દરેક લોકો રણબીર અને આલિયાના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.
નોંધપાત્ર છે કે, રણબીર અને આલિયા એકબીજાને લગભગ પાંચ વર્ષથી ડેટ કરી રહ્યા હતા. દેશમાં કોરોના મહામારી પહેલા બંનેના લગ્ન થવાના હતા, જોકે કોરોના સાથે બગડતી પરિસ્થિતિને કારણે લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા અને આ દરમિયાન હિન્દી સિનેમાના દિગ્ગઝ અભિનેતા અને રણબીરના પિતા ઋષિ કપૂરનું નિધન થયું હતું.
ઋષિ કપૂર રણબીર અને આલિયાના સંબંધોથી ખૂબ જ ખુશ હતા. તે ઈચ્છતા હતા કે તેમની આંખો સામે જ રણબીરના લગ્ન થઈ જાય. ઋષિ પણ આલિયાને પોતાના ઘરની વહુ બનાવવા ઈચ્છતા હતા, જો કે તેમના જીવન દરમિયાન આવું થઈ શક્યું નહિં. પરંતુ હવે તેમના મૃત્યુના લગભગ બે વર્ષ પછી ઋષિ કપૂરની આ ઈચ્છા પૂરી થઈ છે.
રણબીર અને આલિયાના લગ્નમાં ઋષિ કપૂરની કમી ખૂબ જ અનુભવાઈ હતી. આ દરમિયાન રણબીર અને નીતુ ભાવુક પણ થઈ ગયા હતા. જોકે, લગ્ન દરમિયાન ઋષિ કપૂરની તસવીર રાખવામાં આવી હતી અને આ રીતે ઋષિએ ત્યાં ન હોવા છતાં પણ પોતાની હાજરી આપી હતી. સોશિયલ મીડિયા પર આ તસવીરો પણ ખૂબ વાયરલ થઈ હતી.
આ વાતમાં કોઈ શંકા નથી કે રણબીર પોતાના સ્વર્ગસ્થ પિતા ઋષિ કપૂર સાથે ખાસ અને મજબૂત બોન્ડ શેર કરે છે. રણબીર તેના પિતાને ખૂબ જ માન આપતા હતા અને તેમને ખૂબ પ્રેમ કરતા હતા. તાજેતરમાં જે સમાચાર સામે આવ્યા છે તેનાથી પણ આ વાતનો સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે.
લગ્ન પછી હવે રણબીર અને આલિયા પોતાના નવા ઘરની સજાવટમાં વ્યસ્ત છે. આ દરમિયાન સમાચાર આવ્યા છે કે રણબીર પોતાના ઘરમાં પિતા ઋષિ કપૂર સાથે જોડાયેલી ઘણી ચીજો રાખવા ઈચ્છે છે. તેના માટે તેઓ ખાસ તૈયારીઓ પણ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે રણબીરે પોતાના ઘરનો એક રૂમ ઋષિ કપૂરને સમર્પિત કર્યો છે.
આ સમાચાર સામે આવ્યા પછી લોકો રણબીરની ખૂબ પ્રસંશા પણ કરી રહ્યા છે. તેના ચાહકો તેના આ પગલાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે. માહિતી મુજબ, ઋષિ કપૂર માટે બની રહેલા રૂમમાં રણબીર ઋષિ સાથે જોડાયેલી દરેક ખાસ ચીજોને જગ્યા આપશે.
નોંધપાત્ર છે કે, ઋષિ કપૂરનું 67 વર્ષની ઉંમરમાં નિધન થયું હતું. ઋષિ કપૂર પોતાના છેલ્લા સમયમાં કેન્સર જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહ્યા હતા. તેમની લગભગ 11 મહિના સુધી અમેરિકામાં સારવાર પણ કરવામાં આવી હતી, પરંતુ ભારત આવ્યા પછી તેમણે દુનિયાને અલવિદા કહી દીધું. ઋષિએ 30 એપ્રિલ 2020 ના રોજ મુંબઈમાં સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલ એંડ રિસર્ચ સેંટરમાં અંતિમ શ્વાસ લીધો હતો.