માથા પર ત્રિપુંડ, ગળામાં રુદ્રાક્ષની માળા, હોઠ પર મક-સ્વરમાં મંત્રોચ્ચાર…બંધ પાંપણોમાં દેશ માટે પ્રાર્થના કરતા આ છે દેશના પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી. જે મંગળવારે મહાકાલની નગરી ઉજ્જૈની પહોંચ્યા. જ્યાં મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના ગર્ભગૃહમાં તેમણે વિધિવત પૂજા-અર્ચના કરી. તેમણે ગર્ભગૃહમાં 3 મિનિટ ધ્યાન પણ લગાવ્યું. ત્યાર પછી તે આગળ વધ્યા તે તરફ જેની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. હા, તમને જણાવી દઈએ કે મંગળવારે પીએમ મોદીએ ધાર્મિક નગરી ઉજ્જૈનીમાં મહાકાલ લોક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
856 કરોડના ખર્ચે બન્યો છે આ મહાકાલ કોરિડોર: નોંધપાત્ર છે કે, મહાકાલ લોક પ્રોજેક્ટ બે તબક્કામાં 856 કરોડ રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યો છે. તેના દ્વારા 2.8 હેક્ટરમાં ફેલાયેલું મહાકાલ પરિસર 47 હેક્ટરનું થઈ જશે. તેમાં 946 મીટર લાંબો કોરિડોર છે, જ્યાંથી ભક્તો ગર્ભગૃહમાં પહોંચશે. ઉજ્જૈનમાં આવેલા મહાકાલ પરિસરનો વિસ્તાર 20 હેક્ટરમાં કરવામાં આવી રહ્યો છે. તે કેટલો ભવ્ય અને વિશાળ છે તે વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તે કાશી વિશ્વનાથ કોરિડોરથી 4 ગણો મોટો છે. અહીં આવનારા ભક્તોને કલાની સાથે-સાથે ટેકનોલોજીનો અદ્ભુત સંયોગ જોવા મળશે.
કહેવામાં આવી રહ્યું છે કે આ પરિસરમાં ભગવાન શિવના સમગ્ર પરિવારની સ્થાપના કરવામાં આવી છે, અલગ-અલગ મુદ્રાઓવાળી લગભગ 200 મૂર્તિઓ અહીંની ભવ્યતા વધારી રહી છે. તેનું સૌથી મોટું આકર્ષણ અહીં બનેલા 108 વિશાળ સ્તંભ છે, જેના પર માતા પાર્વતી, ભગવાન શિવની સાથે-સાથે કાર્તિકેય અને શ્રી ગણેશની છબીઓ કોતરવામાં આવી છે. આ ચિત્રો જોવામાં મૂર્તિઓ જેવા છે, પરંતુ તે સ્તંભના ભાગ છે.
એક ભવ્ય કાર્યક્રમમાં પીએમ મોદીએ કર્યું મહાકાલ કોરિડોરનું ઉદ્ઘાટન: વાત કરીએ મહાકાલ લોક પ્રોજેક્ટની તો તેના મુખ્ય દ્વાર, જેને નંદી દ્વાર કહેવામાં આવે છે, ત્યાં 15 ફૂટ ઉંચુ શિવલિંગ બનાવવામાં આવ્યું છે. તેને રક્ષા સૂત્ર સાથે તૈયાર કરવામાં આવ્યું છે. કપડાથી ઢંકાયેલ આ શિવલિંગને વડાપ્રધાન મોદીએ રિમોટનું બટન દબાવીને હટાવ્યું, આ કાપડ હટતાની સાથે જ મહાકાલ લોકના પહેલા તબક્કાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ પ્રસંગને યાદગાર બનાવવા માટે સમગ્ર ઉજ્જૈનને શણગારવામાં આવ્યું હતું. આખું શહેર રંગબેરંગી ઝગમગતા પ્રકાશમાં ઝળહળતું જોવા મળી રહ્યું હતું.
સાથે જ આ ઐતિહાસિક પળોના સાક્ષી બનવા માટે જાણે સમગ્ર સંત સમાજ એકત્ર થયો હોય. કાર્યક્રમ સ્થળ સુધી જોકે દરેકને મંજૂરી આપવામાં આવી ન હતી, પરંતુ 200 સાધુઓની હાજરી નિશ્ચિત રાખવામાં આવી હતી. જે લોકો તેને પ્રત્યક્ષ જોઈ શક્યા ન હતા તેમને પણ નિરાશ કરવામાં ન આવ્યા. શિપ્રા નદીના કિનારે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. જ્યાં મોટી સ્ક્રીન લગાવવામાં આવી હતી, જેના પર સમગ્ર કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ સ્થળ પર વોટર પ્રૂફ ડોમ બનાવવામાં આવ્યો હતો, જ્યાં 60 હજાર લોકો હાજર હતા.
જો કે, તમને જાણીને નવાઈ લાગશે કે મહાકાલ લોકના લોન્ચિંગ કાર્યક્રમનું દુનિયાના 40 દેશોમાં લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું. જ્યાં ભારતવંશિઓએ આ કાર્યક્રમ સીધો જ તેમની સ્ક્રીન પર જોયો.