‘ધ કપિલ શર્મા શો’ ની પહેલી સીઝન 2016 માં પ્રસારિત થઈ હતી, ત્યારથી નવા અને જૂના કોમેડિયન શોમાં આવ્યા છે અને જતા રહ્યા છે. જોકે ડૉ. મશૂર ગુલાટી ઉર્ફ સુનીલ ગ્રોવર અને દાદી ઉર્ફ અલી અસગર શોમાં પરત ફર્યા નથી, જેમને દર્શકો એ ખૂબ મિસ કર્યા. સપના બનીને હસાવનાર કૃષ્ણા અભિષેક પણ છેલ્લા કેટલાક સમયથી શોથી દૂર છે. તેમણે હવે ‘ધ કપિલ શર્મા શો’માં પરત ફરવાની વાત કરી છે.
કૃષ્ણા અભિષેકે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે ‘ધ કપિલ શર્મા શો’ અને તેમની ટીમને મિસ કરી રહ્યા છે અને તે ટૂંક સમયમાં શોમાં પરત ફરશે. અભિનેતાએ ખુલાસો કર્યો કે જ્યારે તે શો સાથે જોડાવા જઈ રહ્યા હતા, ત્યારે ઘણા લોકોએ તેમને ચેતવણી આપી હતી કે કપિલ શર્મા શો પહેલા જેવો નથી રહ્યો.
લોકોએ તેને કપિલ શર્મા સાથે કામ ન કરવાની સલાહ આપી, પરંતુ કૃષ્ણાએ આ બધી બાબતોને બાયપાસ કરીને કપિલ શર્મા સાથે કામ કર્યું અને લોકપ્રિય બની ગયા. તે કહે છે, ‘કપિલ ખૂબ મહેનત કરે છે. તેઓ લોકોને હસાવવા માટે કંઈકને કંઈક નવું કરવાના પ્રયત્નો કરે છે.’
કૃષ્ણા અભિષેકે તે સમાચારોને નકારી કાઢ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે કપિલ શર્મા સાથે તેમનો મતભેદ છે. અભિનેતાએ કપિલ સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું, ‘અમે ટૂંક સમયમાં સાથે જોવા મળશું.’ કૃષ્ણા કપિલનું ખૂબ સમ્માન કરે છે. જણાવી દઈએ કે કપિલ શર્મા અને કૃષ્ણા અભિષેકે તેમની સફરની શરૂઆત ‘કોમેડી સર્કસ’ થી કરી હતી.
અભિનેતાએ આગળ જણાવ્યું, ‘અમે એકબીજાનું લગભગ 4 વર્ષ સુધી ધ્યાન રાખ્યું. અમે જાણીએ છીકે કે લોકડાઉન દરમિયાન કામ કરતી વખતે અમે કઈ પરિસ્થિતિઓનો સામનો કર્યો હતો. કોન્ટ્રાક્ટને લઈને થોડી સમસ્યા હતી, પરંતુ કપિલ સાથે કોઈ અનબન થઈ ન હતી.’
દર્શકો ફરીથી કૃષ્ણાને આ શોમાં સપના બ્યુટી પાર્લરની જવાબદારી સંભાળતા જોવા માટે આતુર છે. લોકો પ્રખ્યાત ગુલાટીના રોલમાં સુનીલ ગ્રોવરને પણ જોવા ઈચ્છે છે, જેની સાથે કપિલ શર્માની લડાઈ ઘણા વિવાદોમાં રહી હતી.
39 વર્ષના કૃષ્ણા અભિષેકે ‘નચ બલિયે 3’ અને ‘ઝલક દિખલા જા 4’ જેવા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો છે. તેમણે ‘ઓએમજી! યે મેરા ઈન્ડિયા’, ‘કોમેડી નાઈટ્સ બચાવો’ જેવા શો હોસ્ટ કર્યા છે. તેમની પત્ની કશ્મીરા શાહ બોલિવૂડની જાણીતી હસ્તી છે. આ કપલ આજે બે બાળકોના માતા-પિતા છે.